આપણા ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે.
અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગનાં વિક્રમ સંવત મુજબ વર્ષનાં નવમાં મહિનાનો બીજો દિવસ છે. જ્યારે શક સંવત મુજબ વર્ષનાં ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત, અલુણાં જેવાં ઘણાં તહેવારો આવે છે.
સમગ્ર ભારતનાં અલગઅલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈનાં આગમન કે ઈશ્વર તત્વનાં જન્મની કે પછી પાકની વાવણી તથા લણણીની અલગ અલગ ઘટનાને ધ્યાનમાં રાખીને નવાં વર્ષની ઉજવણી થાય છે. ભારતનાં કચ્છ જીલ્લાનાં કચ્છી લોકોનાં નૂતન વર્ષનો આરંભ પણ અષાઢી બીજથી થાય છે.
વિક્રમ સંવત ૧૨૩૧માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી, ત્યારથી અષાઢી બીજ ઉજવાય છે અને નવું વર્ષ મનાવવામાં આવે છે. કચ્છનાં રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિથી કચ્છી પંચાગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવાય છે.
કચ્છનાં નવાં વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનાં નવ વર્ષની વાતો અને ઈતિહાસ પણ ઘણો રસપ્રદ અને જાણવાં જેવો છે. જાડેજા વંશની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો યાદવ કુળમાં આઠમી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. તેમનાં પુત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાનાં લગ્ન થયેલાં. તેમનાં દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પૌત્ર વ્રજનાભનાં વંશમાંથી જાડેજાઓની ઉત્પતિ થઇ હોવાનું મનાય છે. આ વાતનાં પુરાવા શ્રીમદ્દ ભગવત, હરિવંશ અને મહાભારતમાંથી મળે છે.
જાડેજા વંશનાં પૂર્વજો સિંધ દેશમાં રહેતાં પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોનાં કનડગતને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી. ત્યારે જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલાં ‘જામ જાડો’ ગાદી પર આવ્યા. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીનાં પુત્ર લાખાજીને દત્તક લીધો. ઘણાં વર્ષો પછી જામ જાડાને ઘેર કુંવર ઘાનો જન્મ થયો. મોટા થયાં પછી જામ લાખાજી અને કુંવર ઘા વચ્ચે તકરાર થતા જામ લાખાજી પોતાનાં જોડિયા ભાઈ લાખા સાથે રણની પેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા.
ઈ.સ. ૧૧૪૯માં પોતાનાં ભાઈ લાખીયારનાં નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે. (હાલનાં નાખાત્રનાં નજીક) અંહિયાથી કચ્છમાં જાડેજા રાજનો ઉદય થાય છે. જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા. જામ જાડાએ દત્તક લીધેલ પુત્ર એટલે જામ લાખો તેથી તે ‘જાડાનો’ પુત્ર કહેવાયો અને તેથી તેઓ જાડેજા કહેવાયા.
ઈ.સ. ૧૬૦૫માં ‘જામ લાખો ફુલાણી’ જ્યારે બહારવટું કરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી આ બધાથી ખુશ થયેલાં જામ લાખાજીએ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવાની ઘોષણા કરી. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે.
હાલનાં આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. દાયકા પહેલાં આ દિવસ અનોખી રીતે ઉજવાતો. નવાં વર્ષના નવાં સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા.
જો કે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવાં વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢીબીજનાં દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે. રાજાશાહી યુગમાં આ દિવસે ૧૭ તોપની સલામી પણ અપાતી હતી. જોકે કચ્છમાં પણ થોડા વર્ષોથી આ ઉજવણી ફીકી તો બની જ છે.
ભલે ઉજવણીની રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે. તમામ કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવાં વર્ષની ખૂબ ખૂબ વધામણી અને અષાઢી બીજની શુભેચ્છાઓ..!!